હુન્નર શાળા તરીકે પ્રખ્યાત સંસ્થા વિષે
જામનગર જિલ્લાના સાવ ખૂણાના પરંતુ સ્વાતંત્ર્ય પહેલા વિખ્યાત બંદર અને સમૃદ્ધ ગામ તરીકે પ્રખ્યાત જોડિયામાં સ્વ. રંભાબેન ગણાત્રા (પૂજ્ય ફૈબા)એ 1950માં મહિલાઓની દયનીય પરિસ્થિતિ જોઈ આ સંસ્થાનો પાયો નાખ્યો. મહાત્મા ગાંધીના અંતેવાસી અને પ્રખર ગાંધીવાદી તરીકે પ્રખ્યાત પૂ ફૈબાએ મહિલાઓ અને બાળાઓના ઉત્થાન અને વિકાસ માટે લોકફાળો કરી માત્ર રૂ. 875થી સંસ્થાની શરૂઆત કરી.
શરૂઆતમાં મહિલામંડળ અને સમાજ કલ્યાણ પ્રવૃતિ અને ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, છાત્રાલય, બાલમંદિર, વ્યવસાયલક્ષી તાલીમ વર્ગો જેવી અનેક પ્રવૃતિથી આ વિસ્તારને સમર્પિત આ સંસ્થાનો જન્મ થયો.
આશરે એક લાખ ચો ફૂટ વિસ્તારમાં પથરાયેલ સંસ્થાના આશરે સાઇઠ હજાર ફૂટના બાંધકામને સને 2001માં આવેલ ભૂકંપમાં ભારે નુકશાન થયું હતું. અનેક દાતાઓ જેમકે નેધરલેન્ડ્સ સરકાર, શ્રી ગાયત્રી ટ્રસ્ટ-હરિદ્વાર, પૂ રણછોડદાસજી મહારાજ આશ્રમ, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી ખોડીદાસભાઈ ધામેચા(યુ.કે.), શ્રી યુસુફભાઈ નાગાણી(મુંબઈ), શ્રી બાબા શેઠ વિગેરેએ મળી કુલ રૂ. 76,74,822ના ફાળા દ્વારા સંસ્થાના પુન:નિર્માણમાં અમુલ્ય સહયોગ આપી માત્ર ચાર માસમાં સંસ્થા કાર્યરત કરી આપી.
સંસ્થાનો અભિગમ મામૂલી ખર્ચમાં વિવિધ પ્રવૃતિઑ દ્વારા આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓ અને બાળાઓના વિકાસ કરવાનો રહ્યો છે.